Vadodara/ તબીબની ઘોર બેદરકારી, Operation દરમિયાન પેટમાં કોટન રહી જતાં વિદ્યાર્થિનીનું કરુણ મોત

વડોદરા શહેરમાં મેડિકલ બેદરકારીની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હોનહાર વિદ્યાર્થિની સંજના વાઘેલાનું તબીબોની કથિત ભૂલને કારણે મોત નીપજ્યું છે. ઓપરેશન દરમિયાન પેટમાં કોટન (પાટો) રહી જવાને કારણે સમગ્ર શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું, જે અંતે સંજના માટે જીવલેણ સાબિત થયું.
શું છે સમગ્ર ઘટના?
મકરપુરા વિસ્તારના હિતેન્દ્ર સિંહ વાઘેલાની 16 વર્ષીય દીકરી સંજનાને પેટમાં ગાંઠની તકલીફ હોવાથી તેને વાઘોડિયા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. સર્જરી બાદ પ્રાથમિક દ્રષ્ટિએ બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા જ સમયમાં સંજનાને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો.
સીટી સ્કેન રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
દુખાવો કાબૂ બહાર જતાં સંજનાને મકરપુરા રોડ પર આવેલી અન્ય એક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંના તબીબોએ જ્યારે સીટી સ્કેન કરાવ્યું, ત્યારે રિપોર્ટ જોઈને સૌ સ્તબ્ધ રહી ગયા હતા. ઓપરેશન કરનાર ડોક્ટરની બેદરકારીને કારણે સંજનાના પેટમાં કોટન (પાટો) અંદર જ રહી ગયો હોવાનું બહાર આવ્યું હતું.
બેદરકારી અને અંતે કરુણ મોત
પેટમાં રહી ગયેલા કોટનને કારણે સંજનાના શરીરમાં ગંભીર ઇન્ફેક્શન (Sepsis) ફેલાઈ ગયું હતું. આક્ષેપ છે કે જ્યારે ઇન્ફેક્શન વધવા લાગ્યું ત્યારે સંબંધિત ડોક્ટરે જવાબદારી લેવાને બદલે 'હાથ અધ્ધર' કરી દીધા હતા. ઇન્ફેક્શનની અસર મગજ અને અન્ય અંગો સુધી પહોંચી જતાં આશાસ્પદ વિદ્યાર્થિનીએ દમ તોડ્યો હતો.
પરિવારમાં આક્રોશ અને પોલીસ તપાસ
દીકરીના અકાળે અવસાનથી વાઘેલા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પિતા હિતેન્દ્ર સિંહે ઓપરેશન કરનાર તબીબ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે હાલ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે તબીબી બેદરકારીના પાસા પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
મેડિકલ સાયન્સમાં આ પ્રકારની ઘટનાને 'Retained Surgical Sponge' કહેવામાં આવે છે, જે તબીબી જગતમાં ગંભીર બેદરકારી ગણાય છે.

