Surendranagar: મુખ્ય પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાતા પાણી પુરવઠો ખોરવાયો, 7 દિવસથી પાણી કાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
સુરેન્દ્રનગરના વઢવાણમાં છેલ્લા સાત દિવસથી પાણી કાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવાઈની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાઈ જવાને કારણે પાણી પુરવઠો ખોરવાયો છે. મહાનગરપાલિકાના એન્જિનિયરો લાઇન ક્લિયર કરવા મથામણ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ બે દિવસ પાણી કાપ રહેશે તેવી સંભાવના છે. પીવાના પાણી માટે રઝળપાટ કરતા વઢવાણવાસીઓ હવે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. તંત્રની આ નિષ્ફળતાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પીવાનું પાણી સમયસર ન મળતાં અગાઉ મહિલાઓએ કર્યો હતો હોબાળો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાણીની વિકટ સમસ્યાને મુદ્દે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ભારે હોબાળો મચાવ્યો છે. ભીમરાવ, ફિરદૌસ અને મફતિયાપરા સહિતની 5થી વધુ સોસાયટીઓમાં સમયસર પીવાનું પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરી ખાતે થાળી-વેલણ વગાડી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. રમઝાન માસ પણ શરૂ થતો હોવાથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. આ દરમિયાન મહિલાઓએ ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

