Video/ મીઠું પકવવાની સીઝન શરૂ થાય તે પહેલાં જ Surendranagar માં 130 થી વધુ અગરિયાઓને વન વિભાગની નોટિસ
કઠોર પરિશ્રમ કરીને મીઠું પકવતા અગરિયાઓ પર ફરી એકવાર સંકટના વાદળો છવાયા છે. સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં મીઠું પકવતા 130 થી વધુ અગરિયાઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા રણ ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવી છે. આ નોટિસને પગલે અગરિયા આલમમાં ભારે રોષ અને ઉચાટ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
વન વિભાગનો દાવો છે કે અગરિયાઓએ ફોરેસ્ટ વિભાગની અનામત જમીનમાં પાટાઓ બનાવીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવાનું શરૂ કર્યું છે. આ મામલે વિભાગ કડક વલણ અપનાવી રહ્યું છે અને એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે વન વિભાગ આ અગરિયાઓ પર 'લેન્ડ ગ્રેબિંગ' હેઠળ ગુનો પણ દાખલ કરી શકે છે.
સીઝન ટાણે જ નોટિસ ફટકારાતા રોષ
અગરિયા આગેવાનોનું કહેવું છે કે, અત્યારે રણમાં મીઠું પકવવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ થવાનું છે. બરાબર આ જ સમયે નોટિસો આપીને અગરિયાઓને પાયમાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અગરિયા આગેવાન વિક્રમ રબારી અને વાસુદેવ ઠાકોરે જણાવ્યું હતું કે, આ મામલે તેઓ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.
રાજકીય ગરમાવો: ધારાસભ્યની મુલાકાત બાદ એક્શન?
આ વિવાદમાં રાજકીય વળાંક પણ જોવા મળ્યો છે. અગરિયાઓનો આરોપ છે કે થોડા સમય પહેલા સ્થાનિક ધારાસભ્ય અગરિયાઓની વેદના જાણવા અને તેમના પ્રશ્નો સાંભળવા રણમાં ગયા હતા. આ મુલાકાત બાદ જ વન વિભાગે એકાએક નોટિસો આપવાની શરૂઆત કરી છે, જે અનેક સવાલો ઉભા કરે છે.
આગામી રણનીતિ
પોતાની રોજીરોટી છીનવાઈ જવાની બીકે અગરિયાઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. જો વન વિભાગ દ્વારા નોટિસો પરત ખેંચવામાં નહીં આવે, તો અગરિયાઓ આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

