Video/ Surendranagarના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવાના આક્ષેપ, યુવકે ન્યાય માટે માંગ કરી
સુરેન્દ્રનગરના પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર અને તેમના સાગરિતો દ્વારા એક યુવકનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ન્યાય ન મળતા, ભોગ બનનાર યુવક રાજરત્ન નાગવંશીએ સોમવારથી પાટડી ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
વિવાદનું મૂળ: આંબેડકરજીની પ્રતિમા પર ધારાસભ્યનું નામ
સમગ્ર વિવાદનું મૂળ એક પ્રતિમા છે. મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને આંબેડકરજીની જે પ્રતિમા ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આપવામાં આવી હતી, તેમાં આંબેડકરજીના નામના બદલે ધારાસભ્ય પી.કે. પરમારે પોતાનું નામ પ્રતિમા પર લખાવ્યું હોવાનો આક્ષેપ છે. આ બાબતે ભોગ બનનાર યુવક રાજરત્ન નાગવંશીએ ધારાસભ્ય પી.કે. પરમાર પાસે જાહેરમાં માફી માંગવાની માગણી કરી હતી.
માફીની માંગણી બાદ અપહરણ અને માર મારવાના આક્ષેપ
આ માફીની માંગણીના પગલે જ યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ રાજરત્ન નાગવંશીએ લગાવ્યો છે. ભોગ બનનાર યુવક રાજરત્ન નાગવંશીએ જણાવ્યું હતું કે, જો પોલીસ આ ગંભીર મામલે તાત્કાલિક અને તટસ્થ કાર્યવાહી નહીં કરે, તો તેઓ ન્યાય માટે પાટડી ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરશે.
ધારાસભ્યના પુત્ર અને સાગરિતો પર સીધા અપહરણ અને માર મારવાના ગંભીર આક્ષેપોને કારણે આ મામલો રાજકીય રીતે પણ ગરમાય તેવા એંધાણ છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ભોગ બનનારને ન્યાય આપવાની માંગ ઉઠી છે.

