Surendranagar news: ભાંગની પ્રસાદીનું સેવન કર્યા બાદ 5 લોકોની તબિયત બગડી, માનસિક અસર થતા હોસ્પિટલમાં દાખલ

સુરેન્દ્રનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ પ્રસાદીનું સેવન કર્યા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાંચ જેટલા લોકોની તબિયત અચાનક બગડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભોગ બનનાર યુવકોને સતત હસવાની સમસ્યા સર્જાઈ
સામાન્ય રીતે ભાંગને ઠંડાઈ કે દૂધ સાથે મિક્સ કરીને લેવાની હોય છે પરંતુ અમુક લોકો દ્વારા સીધું જ સેવન કરવામાં આવતા અથવા વધુ પડતી માત્રામાં પી લેતા તેનો આકરો નશો ચડી ગયો હતો. જેના કારણે ભોગ બનનાર યુવકોને સતત હસવાની સમસ્યા, ચક્કર આવવા અને ઉલટીઓ થવા લાગતા તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના સ્ટાફને મહાશિવરાત્રીના પર્વને ધ્યાને રાખીને અગાઉથી જ સતર્ક રાખવામાં આવ્યો હતો. જેથી આ પાંચેય દર્દીઓને તાકીદે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇમર્જન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ તમામ લોકોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

