Surendranagar/ ગાયોના ઘાસચારાના નામે 'ડ્રો'નું મોટું કૌભાંડ? કરોડોની છેતરપિંડીની શંકાએ 7 સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મના નામે ધતિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વીર વછરાજ બેટની ગાયોના ઘાસચારાના લાભાર્થે ડ્રોનું આયોજન કરી કરોડો રૂપિયા ઉઘરાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
શું હતો આખો ખેલ?
પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢ તાલુકાના વિજળીયા ગામેથી આ આખા ડ્રોનું સંચાલન કરવામાં આવતું હતું. આયોજકોએ ગાયોના ઘાસચારામાં મદદ કરવાના બહાને મોટી સંખ્યામાં ટિકિટોનું વેચાણ કર્યું હતું. લોકોને લલચાવવા માટે આ ડ્રોમાં પ્રથમ ઇનામ તરીકે ₹21 લાખની રોકડ રકમ જાહેર કરવામાં આવી હતી. આ ડ્રોનું મુખ્ય આયોજન સાગધ્રા ખાતે રાખવામાં આવ્યું હતું.
પોલીસની કાર્યવાહી અને છેતરપિંડીની શંકા
પોલીસને બાતમી મળી હતી કે આ આખું આયોજન કોઈપણ પ્રકારની વહીવટી પરવાનગી વગર કરવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી, ત્યારે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની આશંકા સેવાઈ હતી. લોકોની ધાર્મિક લાગણીનો દુરુપયોગ કરી ટિકિટોના વેચાણ દ્વારા જંગી રકમ ભેગી કરવામાં આવી હતી. કુલ 7 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લોકોને સાવચેત રહેવા અપીલ
પોલીસે આ મામલે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે અને તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ ટિકિટો ખરીદી છે અને ભેગી થયેલી રકમનો ખરેખર ઉપયોગ ક્યાં થવાનો હતો. કોઈપણ પ્રકારના અધિકૃત લાયસન્સ વગર યોજાતા આવા નસીબ આધારિત ડ્રોમાં નાણાં ન રોકવા માટે પણ તંત્ર દ્વારા સમજણ આપવામાં આવી રહી છે.

