Surendranagar/ નાની કઠેચીમાં સરપંચના ગેરકાયદે બાંધકામ મુદ્દે ગ્રામજનોમાં રોષ, 'લેન્ડ ગ્રેબિંગ'નો ગુનો દાખલ કરવા માંગ
સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી ગામે સરપંચ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચે સરકારી જમીનમાં પાકું બાંધકામ કરી કારખાનું બનાવી નાખ્યું છે. આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ સરપંચ સામે 'લેન્ડ ગ્રેબિંગ'નો ગુનો દાખલ કરવા માંગ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નાની કઠેચી ગામના સરપંચે ગામની સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. આ જમીન પર માત્ર રહેણાંક હેતુ નહીં, પરંતુ વ્યાવસાયિક હેતુ માટે પાકું બાંધકામ કરી મોટું કારખાનું ઊભું કરી દેવામાં આવ્યું છે. સરપંચ જેવી જવાબદાર વ્યક્તિ જ જ્યારે સરકારી જમીન હડપી લે ત્યારે ગ્રામજનોમાં રોષ ફેલાવો સ્વાભાવિક છે.
એક વર્ષથી રજૂઆત છતાં પરિણામ શૂન્ય
રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેઓ આ ગેરકાયદેસર બાંધકામ અંગે છેલ્લા એક વર્ષથી તંત્રને રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો બાદ પણ સરપંચ સામે કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
કલેક્ટરના જવાબથી ગ્રામજનોમાં રોષ
ફરી એકવાર ગ્રામજનો કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટર દ્વારા પણ આ મામલે સંતોષકારક જવાબ આપવાને બદલે 'ઉડાવ' જવાબ આપવામાં આવ્યો હતો. આ વલણને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

