Video/ નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હૂંકાર: ભાવનગરની 'ન્યાય સભા'માં સુરેન્દ્રનગરનો કોળી સમાજ કરશે શક્તિપ્રદર્શન
ભાવનગર ખાતે આગામી 1 લી ફેબ્રુઆરીએ યોજાનાર 'ન્યાય સભા'માં જોડાવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજે કમર કસી છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના વિરોધમાં અને ગુનેગારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો ભાવનગર જવા રવાના થશે.
લીમડી કોળી બોર્ડિંગ ખાતે આગેવાનોની મહત્ત્વ ની બેઠક
ન્યાય સભાના આયોજનના ભાગરૂપે સુરેન્દ્રનગરના લીમડીમાં આવેલા કોળી સમાજના બોર્ડિંગ ખાતે સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓની એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવનીત બાલધિયાના કિસ્સામાં થઈ રહેલા અન્યાય અને પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ સુર પૂરાવ્યો હતો કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ
ન્યાય સભાનું મુખ્ય ઉદ્દેશ્ય નવનીત બાલધિયા પર હુમલો કરનાર અસામાજિક તત્વો સામે કાયદેસરના કડક પગલાં ભરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર પર દબાણ લાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની 'ન્યાય સભા'નું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે, જે સમાજમાં વ્યાપેલી નારાજગી અને એકતા દર્શાવે છે.
સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ કૂચની તૈયારીઓ
લીમડી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્રિત થઈને 1 લી ફેબ્રુઆરીએ ભાવનગર પહોંચશે. આ માટે વાહનો અને અન્ય વ્યવસ્થાઓની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક આગેવાનોએ સોશિયલ મીડિયા અને ગ્રામ્ય સ્તરે પ્રચાર કરી લોકોને ન્યાયની આ લડતમાં જોડાવા આહવાન કર્યું છે.

