Surendranagar/ સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયા ભરેલી લક્ઝરી બસનો અકસ્માત; 24થી વધુ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી જામકંડોરણા જતી જાનૈયાઓની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 24 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લગ્નના હર્ષોલ્લાસ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ લક્ઝરી બસ સુરતથી જાન લઈને જામકંડોરણાના વિમલનગર ખાતે જઈ રહી હતી. જ્યારે બસ સાયલાના ગોસળ બોર્ડ પાસે પહોંચી, ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.
5 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે સાયલા, મૂળી, વડોદ, ચોટીલા અને ડોળીયા એમ પાંચ અલગ-અલગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 24 જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કરાયા
પ્રાથમિક તપાસમાં મોટાભાગના ઈજાગ્રસ્તોને ફેક્ચર તેમજ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ જણાતા, વધુ સારવાર માટે તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ અનેક લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાયલા પોલીસની ત્વરિત કામગીરી
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

