Surendranagar: અગરિયા સમાજના બાળકો માટેની બસ શાળા ખંડેર હાલતમાં
સુરેન્દ્રનગર જિલ્લાના નાના રણ વિસ્તારમાં અગરિયા સમાજના બાળકોને શિક્ષણ આપવા માટે બસ મોકલી ચલાવવામાં આવતી શાળાઓની સ્થિતિ અત્યંત દયનીય અને ખંડેર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. શિક્ષણના અધિકાર હેઠળ અગરિયા બાળકોને ભણાવવાની જે સરાહનીય પહેલ કરાઈ હતી, તે જ વ્યવસ્થા હવે તંત્રની બેદરકારીના કારણે સવાલોના ઘેરામાં આવી છે. ખારાઘોડા, ઝીંઝૂવાડા અને ઓડું સહિતના ગામોના સરકારી શાળાના શિક્ષકો અગરિયાઓ જ્યાં મીઠું પકવે છે તે રણ વિસ્તારમાં નિયમિતપણે જઈને બાળકોને ભણાવે છે. પરંતુ જે બસ શાળાઓમાં આ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે, તે પોતે જ ખંડેર હાલતમાં છે. બસના પતરાં તૂટેલા છે. અહીં કોઈ ઇલેક્ટ્રોનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ભારે તડકામાં રણમાં બસ રાખીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.
હાલમાં, રણમાં ચાલતી આ બસ શાળામાં રોજ એક શિક્ષક અભ્યાસ કરાવવા જાય છે. અગરિયા બાળકોને રોજ માત્ર એક જ શિક્ષકનો લાભ મળે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નિયમિત સરકારી શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.જેથી અગરિયા સમાજ અને સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે આ રણની શાળામાં સ્થાયી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. ત્યારે અગરિયાઓના બાળકો માટેની શિક્ષણ પદ્ધતિની આ દયનીય સ્થિતિ સામે સ્થાનિક કક્ષાએ ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સત્વરે યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

