સુરેન્દ્રનગરમાં હોમ લોનની લાલચ આપી અરજદારો સાથે કરાઈ ઠગાઈ, નોરધન આર્ક કેપીટલ લીમીટેડનું કારસ્તાન

સુરેન્દ્નનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામે ખાનગી કંપની દ્વારા કરોડો રૂપિયાનું છેતરપીંડી કૌભાંડ બહાર આવ્યું હતું. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગર શહેરમાં એક ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમલોન આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર લોકોએ મુખ્યમંત્રી સહિત બી-ડિવીઝન પોલીસ મથકે ૨૦થી વધુ લોકો હાજર રહી લેખિત રજૂઆત કરી છે.
ખોટા ડોક્યુમેન્ટ દ્વારા હોમલોનના બહાને છેતરપીંડી આચરી
શહેરના મેઈન રોડ પર મેગા મોલમાં આવેલી નોરધન આર્ક કેપીટલ લીમીટેડ નામની ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોને ટાર્ગેટ બનાવી મકાનો ઉપર ખોટા ડોક્યુમેન્ટ દ્વારા હોમલોનના બહાને છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અરજદારોના જણાવ્યા મુજબ પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબાવાળા મકાનના ફોટા પાડી ફાઈલોમાં જોડવામાં આવ્યા હતા.
અરજદારોના ખાતામાં જમા થયેલા રૂપિયા પણ અન્ય લોકોએ ઉપાડી
લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં જમા થયેલા રૂપિયા પણ અન્ય લોકોએ ઉપાડી લઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલો બહાર આવતા ભોગ બનનાર અરજદારોએ ફાયનાન્સ કંપનીની ઓફિસે સંપર્ક કરતા ત્યાનાં જવાબદાર અધિકારીઓ ભુગર્ભમાં ઉતરી જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પાર્સલ બોમ્બના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું, ત્રણ દેશી કટ્ટા મળ્યા
રોષે ભરાયેલ ૨૦થી વધુ અરજદારોએ આ સમગ્ર છેતરપીંડી કૌભાંડ મામલે બી-ડિવીઝન પોલીસ મથક સહિત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અરજદારોના જણાવ્યા અનુસાર ખાનગી ફાયનાન્સ કંપનીએ ૧૫૦થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે અને જો તપાસ હાથ ધરવામાં આવે તો આ આંકડો હજુ વધી શકે છે. જ્યારે સ્થાનીક બી-ડિવીઝન પીએસઆઈના જણાવ્યા મુજબ ભોગ બનનાર અરજદારોના હાલ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

