Surat News: દારૂના નશામાં યુવકનો આપઘાત, પાંચ દિવસથી પત્ની સાથે ઝઘડા થતા જીવન ટૂંકાવ્યું

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. જોકે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે.
સિલિન્ડર લેવા મૂકવાનું કામ કરતો
મૃતકના સબંધીએ કહ્યું કે, સંતોષના સાથી મિત્રોએ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા.મૃતકની ઓળખ સંતોષ રાવ તરીકે થઈ છે. સંતોષ પાંડેસરા વિસ્તારમાં જ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને સાત દીકરી છે. સંતોષ ગેસની કંપનીમાં ગેસના સિલિન્ડર લેવા-મૂકવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પત્ની સાથે ઝઘડો થતો હતો
હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે ઝઘડાઓ પણ થતા હતા, તેથી તેને દારૂ પીને ફાંસી લગાવી લીધી છે. પગારના રૂપિયાને લઈને પત્ની સાથે ઝઘડો પણ થયો હતો.

