VIDEO: Surat / શું કચરા કોભાંડ છુપાવવા ખજોદ ડમ્પિંગ સાઈટ પર લગાવાઈ આગ? અધિકારીઓના મૌનથી ઉઠ્યા ગંભીર સવાલો
સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પર ગતરોજ બપોરે લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ ધગધગી રહી છે. આગ એટલી વિકરાળ છે કે તેના પર કાબૂ મેળવવા માટે લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં, હજુ પણ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે પણ મોટી આફત બની છે.
ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગને કારણે દક્ષિણ સુરતના વિસ્તારોમાં હવાની ગુણવત્તા (AQI) પર સીધી અને અત્યંત નકારાત્મક અસર પડી છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં સુરતનો સરેરાશ AQI 80 થી 100 ની વચ્ચે (સામાન્ય/મધ્યમ) હોય છે, પરંતુ આ ઘટના બાદ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે, સ્થાનિક વિસ્તારોમાં AQI 300ને પાર થઈ શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે 'અત્યંત નુકસાનકારક' છે.
આ સમગ્ર આગની ઘટનામાં સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી પર ઉઠી રહ્યો છે. આગ લાગ્યાના બીજા દિવસે પણ કોઈ પણ જવાબદાર અધિકારી મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી. તમામ અધિકારીઓ કેમેરા સામે આવવાનો ઇન્કાર કરી રહ્યા છે, જે અનેક શંકા-કુશંકાઓને જન્મ આપી રહ્યો છે. વધુમાં, ડમ્પિંગ સાઇટના તમામ ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અંદરની હકીકત બહાર ન આવી શકે.
શહેરમાં સૌથી મોટી ચર્ચા એ ચાલી રહી છે કે આ આગ અકસ્માત છે કે પછી આયોજિત કાવતરું? કથિત રીતે, આ ઘટના પાછળ કોઈ મોટા કચરા કોભાંડની આશંકા સેવાઈ રહી છે. એવી ચર્ચાઓ છે કે ભ્રષ્ટાચારના પુરાવાઓને ખાખ કરવા માટે જાણીજોઈને આગ લગાડવામાં આવી હોય શકે છે.

