Video/ Suratના 'કીડિયા બેટ' પર લાગેલી આગનું રહસ્ય ખુલ્યું, જાણો શું હતું કારણ
સુરતના દરિયા કિનારે આવેલા નિર્જન ટાપુ 'કીડિયા બેટ' પર આગ લાગવાની ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. વાયરલ વીડિયોના આધારે હરકતમાં આવેલી સુરત પોલીસે તાત્કાલિક ટાપુ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે હવે પોલીસ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે.
વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર કીડિયા બેટ પર લાગેલી ભીષણ આગના વીડિયો વાયરલ થઈ રહ્યા હતા. આ નિર્જન ટાપુ પર આગ કેવી રીતે લાગી તે અંગે શંકા-કુશંકાઓ સેવાતા ઝોન-7 વિસ્તારની પોલીસ સક્રિય થઈ હતી. સુરત પોલીસની અલગ-અલગ ટીમોએ દરિયાઈ માર્ગે બોટ દ્વારા ટાપુ પર પહોંચીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
કુદરતી રીતે આગ લાગ્યાનો ખુલાસો
સુરત પોલીસના એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, ટાપુ પરની આગ પાછળ કોઈ માનવીય કાવતરું કે ગુનાહિત પ્રવૃત્તિ હોવાના પુરાવા મળ્યા નથી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચોમાસા દરમિયાન ટાપુ પર ઉગી નીકળેલું જંગી ઘાસ ઉનાળાની શરૂઆતની ગરમીને કારણે સુકાઈ ગયું હતું. સુકા ઘાસમાં ઘર્ષણ અથવા અતિશય ગરમીને કારણે કુદરતી રીતે જ આ આગ લાગી હોવાનું જણાય છે.
કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
ટાપુ પર સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને કોઈ ગુનાહિત ચીજવસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિના ચિહ્નો મળ્યા નથી. પોલીસે ટાપુના ખૂણેખૂણામાં નિરીક્ષણ કર્યું હતું અને હાલ આ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ટાપુ નિર્જન હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા હજુ પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

