Surat news: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક, મહિલા ભાગીદારે ત્રાસ આપ્યો હોવાનો ઘટસ્ફોટ

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં ઉમરા પોલીસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. તુષારભાઈ તેમની સ્કૂલની મહિલા ભાગીદાર પૂનમબેન દ્વારા અપાતી બદનામીની ધમકીથી માનસિક તણાવમાં હતા. 'બ્લૂ પેપિલોન' સ્કૂલમાં નાણાકીય લેવડદેવડ અને ભાગીદારીના વિવાદને લીધે તેમને હેરાન કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અત્યાર સુધી પરિવાર અને સ્ટાફ સહિત 6 લોકોના નિવેદન નોંધ્યા છે.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા. તુષારભાઈ સતત તણાવમાં હતા કારણ કે પૂનમબેન તેમને હેરાન કરી રહ્યા હતા અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પૂનમબેન અને તેમના અન્ય સહયોગીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ પુરાવાઓ એકત્રિત કર્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

