VIDEO: સુરતનું ચોર્યાસી ટોલ નાકુ દેશનું પ્રથમ 'બેરિયરલેસ' અને 'મલ્ટિ લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલનાકું' બન્યું
સુરતના કામરેજમાં આવેલું ચોર્યાસી ટોલ નાકુ હવે દેશનું પ્રથમ 'બેરિયરલેસ' અને 'મલ્ટિ લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલનાકું' બની ગયું છે. ગત રાત્રે ૧૨ વાગ્યાથી અમલી બનેલી આ નવી વ્યવસ્થામાં હવે વાહનોએ ટોલ ભરવા માટે ઉભા રહેવું નહીં પડે.તાઈવાનની લેટેસ્ટ ટેકનોલોજી અને ૩૨ હાઈ-ડેફિનેશન CCTV કેમેરાથી સજ્જ આ ૮ લેન પર ANPR સિસ્ટમ દ્વારા સીધા જ ખાતામાંથી પૈસા કપાશે. દરરોજ 40 હજાર વાહનોની ક્ષમતા ધરાવતા આ હાઈવે પર હવે સમય અને ઈંધણની બચત થશે.
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં.
સફળ ટ્રાયલ બાદ અમલીકરણ
સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
•આ આખી વ્યવસ્થા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજી પર આધારિત છે.
•હાઈ-રિઝોલ્યુશન કેમેરા: હાઈવે પર લગાવેલા ખાસ કેમેરા પસાર થતા વાહનોની નંબર પ્લેટને સ્કેન કરશે.
•ઓટોમેટિક કટિંગ: FASTag સાથે જોડાયેલા ખાતામાંથી નિર્ધારિત ટોલની રકમ સીધી જ ડેબિટ થઈ જશે.
•કોન્ટેક્ટલેસ પ્રક્રિયા: સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક અને સંપર્ક રહિત રહેશે.
મોટા ફાયદાઓ અને ભવિષ્યનું લક્ષ્ય
વાહનચાલકો હવે ટોલ પ્લાઝા પર રોકાયા વગર 80 કિમી/કલાકની ઝડપે પસાર થઈ શકશે. NHAIના અંદાજ મુજબ આ સિસ્ટમથી દેશમાં વાર્ષિક 1,500 કરોડ રૂપિયાના બળતણની બચત થશે. કામરેજ અને ચોર્યાસી જેવા વ્યસ્ત ટોલ પ્લાઝા પર જોવા મળતા ટ્રાફિક જામની સમસ્યા હવે ભૂતકાળ બનશે.

