Video/ Surat ખાતે રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું 42 વર્ષની વયે નિધન
વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવતનું આજે હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સુરતમાં રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા અને કાપડ ઉદ્યોગના જાણીતા વેપારી તરીકે ઓળખાતા હતા. તેમના નિધનથી રાજસ્થાની સમાજ સહિત વ્યાપારી વર્ગમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, વિક્રમસિંહ શેખાવતે ગોડાદરા વિસ્તારમાં ત્રણ દિવસીય ફાગોત્સવનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી, પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ ન તૂટે તે માટે તેમણે પોતાની તબિયત અંગે કોઈને જાણ કરી નહોતી અને સારવાર પણ લીધી નહોતી.
આજે તેઓ પોતાના નિવાસસ્થાને હતા ત્યારે અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તરત જ દોડી આવ્યા અને હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ઘરે બોલાવવામાં આવી હતી. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૂળ રાજસ્થાનના રહેવાસી અને સુરતના વેસુ VIP રોડ પર આવેલી પુણ્યભૂમિ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વિક્રમસિંહ શેખાવત પત્ની અને એક પુત્ર સાથે વસવાટ કરતા હતા. તેઓ ખટોદરા વિસ્તારમાં કાપડનું હાઉસ ચલાવતા હતા તેમજ સોલાર અને સિક્યુરિટી ગાર્ડની એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન રાજસ્થાન લઈ જવાયો છે. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજસ્થાની સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
આ સાથે જ તેમના નિધનની જાણ થતા ભાજપના નેતા C. R. Patil સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.
વિક્રમસિંહ શેખાવતના અચાનક અવસાનથી શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

