સુરતમાં ઉત્તરાયણની સાથે ઊંધિયાની મોજ, ફરસાણની દુકાનો પર લાગી લાઈન

ઉત્સવપ્રિય સુરતીઓનો ઉત્તરાયણનો તહેવાર જાણે મનભરીને માણવા માટે ઊંધિયા વગર અધૂરો રહેતો હોય છે. જેથી આજના દિવસે સુરતીલાલાઓ હજારો કિલો ઊંધિયુ સાથે જલેબીની મોજ માણતા હોય છે. જેથી વહેલી સવારથી જ ઊંધિયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓએ લાઈનો લગાવી દીધી હતી.
મનપસંદ ઊંધિયાની મોજ
2025ના નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉતરાયણ પર્વની ઉજવણી કરવા નગરજનો મનભરીને માણી રહ્યાં છે. મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતીલાલાઓ ઉતરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરી રહ્યાં છે. સુરતીલાલાઓનાં મનપસંદ ઊંધિયું પૂરી અને જલેબી ખાઈ પતંગ ચગાવી રહ્યાં છે. ત્યારે આ વખતે ઊંધિયુના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ઉત્તરાયણની સાથે ઊંધિયુ ટ્રેન્ડમાં
ઉત્તરાયણમાં ઊધિયું ખાવાનો ટ્રેન્ડ છે. હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો ફાર્મમાં જઈને કાર્યક્રમો યોજી રહ્યા છે, જેમાં ઉબાડિયા અને ઊંધિયા પાર્ટી યોજાય છે, જેને લઈને ઊંધિયા અને ઉબાડિયામાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીની ડિમાન્ડ વધતાં ભાવમાં વધારો થાય છે.ગત વર્ષે 400 રૂપિયાનો ભાવ હતો જે હવે 500 રૂપિયા કિલો ઊંધિયુંનો ભાવ છે. કારણકે, જે રીતે તેલ અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તેને લઈને આ વખતે ઊંધિયું ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને શક્કરિયાના ભાવમાં કિલોએ 20 રૂપિયા જ્યારે રતાળુના ભાવમાં કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે.

