શારજાહથી 4.72 કરોડનું સોનું આ રીતે લાવતા બે પકડાયા, સુરત એરપોર્ટ પર કાર્યવાહી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને દાણચોરો માટે સ્વર્ગ સમાન માનવામાં આવતું હતું. જો કે, હવે ડીઆરઆઈ વિભાગ દ્વારા છાસવારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શારજાહથી આવતી ફ્લાઇટમાં બે દાણચોર દ્વારા કરોડોનું સોનુ સંતાડીને લાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે સુરત એરપોર્ટ પરથી 4. 72 કરોડ રૂપિયાની કિંમતના 6 કિલો સોના સાથે બે મુસાફરોને પકડી પાડ્યા છે.
ચડ્ડીમાં સોનું છુપાવેલું
વિપુલ શેલડીયા અને અભયકુમારે ચડ્ડીની અંદર કરોડો રૂપિયાની આ સોનું સંતાડ્યું હતું અને તેને બેલ્ટથી બાંધી દીધું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ વિપુલ શેલડીયા અને અભયકુમારની પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. જોકે આ સોનું કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને આપવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે કાર્યવાહી
શારજાહથી સુરત આવતી ફ્લાઇટમાં બે દાણચોરો આવી રહ્યા હોવાની બાતમી DRIની ટીમને મળી હતી. જેના આધારે ડીઆરઆઇની ટીમે શારજાહની ફલાઇટમાંથી ઉતરેલા બંને મુસાફરો વિપુલ શેલડીયા અને અભયકુમારને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓની જડતી લેવામાં આવતા તેમની પાસેથી 4.72 કરોડ રૂપિયાની કિંમતનું 6 કિલો જેટલું સોનું મળી આવ્યું હતુ.

