ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ, ટ્રકમાંથી કેમિકલના બેરલ ઉતારતી વેળા ત્રણ જીવતા સળગી ઉઠ્યાં

આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. દેવસર ગામની નજીક આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ટ્રેકમાંથી કેમિકલના બેરલ ઉતારતી વેળા સમગ્ર ઘટના સર્જાઈ હતી. જેથી ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
3 મૃતદેહ મળ્યા
DySP ભગીરથસિંહ ગોહિલે કહ્યું કે, ઘટનાની જાણ થતાં અમારો પોલીસ સ્ટાફ અને ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલું છે. લગભગ આગ કાબૂમાં આવી ગઇ છે. અત્યારે ત્રણ ડેડબોડી બહાર કાઢી છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તો છે. જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી હોવાથી વલસાડ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે લોકોને લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કામગીરી ચાલું છે.

ત્રણ ફસાયા હોવાની આશંકા
આ આગ અંગે મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો. જેમાં કેટલાક મજૂરો ફસાઇ ગયા હતા. આગની ઝપેટમાં આવતાં ત્રણ લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો હજી આગમાં ફસાયા હોવાનું અનુમાન છે. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. ગોડાઉનમાં વિવિધ પ્રકારનાં કેમિકલ સામગ્રી ધરાવતા કન્ટેનર્સ હોવાથી આગ વધુ વિકરાળ બનવાની સંભાવના છે.

