સુરત મનપા કમિશનરની બદલી, નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર એક્શનમાં

સુરતના ચર્ચિત અને વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર અને ફટકાર બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. સામાન્ય વહીવટ વિભાગે તા. 11 ઓગસ્ટ 2026ના રોજ તાત્કાલિક અસરથી સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (IAS:2009)ની બદલી કરવામાં આવી છે.
નાસીરનગરમાં કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના ડિમોલિશન કાર્યવાહી સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે રાજ્ય સરકારે આ મોટી કાર્યવાહી કરી છે.
'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા
રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ એમ. નાગરાજનની ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS:2016) ને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949 ની કલમ 39 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

