સુરતની ટેક્સટાઈલ માર્કેટ 3 દિવસ આગમાં તપતાં ખખડધજ, સ્ટેબિલિટી રિપોર્ટ બાદ વેપારીઓને મળશે પ્રવેશ

સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો સળગી ગયો છે. આગની જ્વાળામાં માર્કેટ ખખડધજ થઈ ગયું છે. જેથી હાલ તંત્ર દ્વારા વેપારીઓને શિવ શક્તિ માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ જ માર્કેટમાં વેપારીઓના પ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.
પાલિકા દ્વારા નિર્ણય લેવાશે
સુરતના શિવ શક્તિ ટેકસટાઇલમાં 3 દિવસ જેટલી આગ લાગી હતી. હવે આગ કાબુમાં આવી ગઈ છે. જો કે, હવે વેપારીઓને માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સતત ત્રણ દિવસ સુધી આગની ઘટનાને લીધે માર્કેટ ખખડધજ હાલતમાં મુકાયાની આશંકા છે. જેના પગલે પાલિકાએ માર્કેટની સ્ટેબિલિટી રિપોર્ટ લેવાનું નક્કી કર્યું છે. સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ વેપારીઓને અંદર પ્રવેશ કરવાની છૂટ અપાશે. તથા કૂલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ માર્કેટને સીલ કરવામાં આવશે.
ગાંધીનગર રિપોર્ટ કરાશે
માર્કેટમાં લાગેલી ભીષણ આગ અંગે હાલ કોઇ અધિકારી કે પદાધિકારી બોલવા તૈયાર નથી. ફાયરના અધિકારીઓ એટલું જ કહી રહ્યા છે કે, આગ કાબુમાં છે. કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. છતાં અનેક બિલ્ડીંગોમાં આગ દેખાય છે. ગાંધીનગરની ટીમ પણ સમગ્ર ઘટનાની તપાસ કરશે. તપાસ પછી ગાંધીનગર રિપોર્ટ કરશે. આ ઘટનામાં તપાસ થાય તો અનેક અધિકારીઓ સામે બેદરકારી બદલ પગલા લેવાઇ શકે છે.

