VIDEO: સુરત: ડિમોલિશન કેસ મામલે કોર્પોરેશનના અધિકારીઓનું નોટિસ મુદ્દે મૌન
સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલેશન મામલે ઝોનલ ચીફ આશિષ નાયકે 40 પાનાનો પ્રાથમિક અહેવાલ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરી દીધો છે. જેને પગલે વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ વિગતવાર રિપોર્ટમાં ડિમોલિશનની કામગીરી વખતે સ્થળ પર હાજર રહેલા તમામ 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે રિપોર્ટમાં તમામ અધિકારીઓએ બચાવ પક્ષે એકસરખો જ જવાબ આપ્યો છે કે તેઓ ત્યાં ડિમોલિશન કરવા નહીં પરંતુ માત્ર સીમાંકનની કામગીરી માટે ગયા હતા. જોકે, ડિમોલિશન હાથ ધરતા પહેલા પ્રભાવિત લોકોને કાયદેસરની કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં, તેવા સૌથી મહત્વના પ્રશ્ન પર અધિકારીઓએ સંપૂર્ણ મૌન સેવી લીધું છે. હવે આ પ્રાથમિક અહેવાલના આધારે તપાસ સમિતિ પોતાની આગામી કાનૂની કાર્યવાહી નક્કી કરીને મ્યુનિસિપલ કમિશનરને અંતિમ રિપોર્ટ સોંપશે, જેના પર હાલ સૌ કોઈની નજર ટકેલી છે.

