Surat News: આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન બની જીવન રક્ષક, 21 દિવસમાં 308 કોલ મળ્યા, 54ના જીવ બચાવાયા

સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા અનેક લોકો માટે જીવન રક્ષક બની છે. સુરત પોલીસની આત્મહત્યા નિવારણ સેવા દ્વારા છેલ્લા 21 દિવસમાં પોલીસને 308 જેટલા કોલ મળ્યા છે. જેમાંથી જેમાંથી આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહેલા 54થી વધુ લોકોનો જીવ બચાવ્યો છે.
હેલ્પલાઈનને કુલ 308 કોલ મળ્યા
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત કરવાના બનાવવામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને રાખી સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ સેવા ખરેખર જે હેતુથી કરવામાં આવી હતી. તેમાં સારી સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે. જાણે પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની રહી હોય તેવું જોવા મળ્યું છે. કારણકે 21 જૂનથી 14 જુલાઈ સુધીના 21 દિવસના ગાળામાં આ હેલ્પલાઇનને કુલ 308 કોલ મળ્યા હતા.
માનસિક સ્વાસ્થ્ય જીવન બચાવવા મહત્વપૂર્ણ
આ પૈકી 301 લોકોને પોલીસે વ્યાવસાયિક કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે 97 લોકો સાથે રૂબરૂ બેસીને સમજાવટ કરવામાં આવી હતી.જ્યારે 54 થી વધુ લોકોએ આત્મહત્યા કરવાનો અંતિમ પ્રયાસ કરી લીધો હતો, તેમને સુરત પોલીસ સમયસર પહોંચીને બચાવી લીધા હતા.ત્યારે જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાઓથી હતાશ થઈને આપઘાતનો નિર્ણય લેનારા લોકોનો નિર્ણય બદલવામાં સુરત પોલીસની આ સેવા એક ઉત્તમ માધ્યમ પુરવાર થઈ છે.ત્યારે આ હેલ્પલાઇન દ્વારા, સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં, પરંતુ નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન બચાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

