ગુજરાતના શિક્ષણની બલિહારી! ગણદેવીના ભાઠામાં દોઢ વર્ષથી આચાર્ય વગર ચાલતી શાળાની ગ્રામજનોએ કરી તાળાબંધી

ભણશે ગુજરાતની નારેબાજી કરતી સરકાર વહિવટમાં નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામે આચાર્ય વગર જ શાળા ચાલી રહી છે. છેલ્લા દોઢેક વર્ષથી શાળામાં કોઈ જ આચાર્ય ન હોવાથી ગ્રામજનો કંટાળ્યા છે. રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતાં બાળકોના ભવિષ્યને લઈને રજૂઆત બુલંદ કરી છે. ગ્રામજનોએ અકળાઈને શાળાને તાળાબંધી કરી છે.
174 વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ
ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી આચાર્ય નહિં મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. 174 વિદ્યાર્થી ધરાવતી શાળા છેલ્લા બે વર્ષથી આચાર્ય વિના ચાલી રહી હતી. ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્યા ફાળવવાની રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી. જેના પગલે ગ્રામજનોએ અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી.
વાલીઓની અકળામણ
વિદ્યાર્થીના વાલી યોગેશ પટેલે કહ્યું કે, આ અમારી કેન્દ્ર શાળા છે અને આની નીચે અન્ય 7 શાળા આવે છે જેનું રિપોર્ટિંગ અહીંયાથી જ થાય છે. પણ અહીં, છેલ્લા બે વર્ષથી અમને આચાર્ય મળતા નથી. જેતે પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું. પરંતુ તે સ્વીકારાયું નથી. બીજીતરફ જિલ્લાશિક્ષણ અધિકારી વારંવાર એક જ વાત કહે છે કે, આમાં કોઈ ટેક્નિકલ ઈશ્યુ છે. હવે એમ કંટાળ્યા છીએ. અમને હવે આચાર્ય જોઈએ જ છે. એના સિવાય કોઈ રસ્તો નથી. આ બાબતે અમે કલેક્ટર, જિલ્લાશિક્ષણ અધિકારી, ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને પણ આવેદન આપ્યું છે. જોકે, હજુ સુધી કોઈપણ જાતના પગલાં ન લેવાતા આજે અમારે શાળામાં તાળાબંધી કરવી પડી છે. હવે જ્યાં સુધી કોઈ ચોક્કાસ બાહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળા ખોલીશું નહીં.
અગાઉ રજૂઆત કરી હતી
ગ્રામજનોએ કહ્યું કે, તેમણે જિલ્લા તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ વારંવાર નવા આચાર્યની નિમણૂક માટે રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીઓએ તેમની રજૂઆતને ગંભીરતાથી ન લેતાં, અંતે વાલીઓએ વિદ્યાર્થીઓના હિત માટે આ કઠોર પગલું ભરવું પડ્યું છે.

