સુરતમાં વિદ્યાર્થિની આપઘાત કેસમાં કોઈ કાર્યવાહી નહી, તપાસના નામે DEO અને સ્થાનિક પોલીસના માત્ર દેખાડા

સુરતના ગોડાદરામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતને અઠવાડિયું થઈ ગયું છે. તેમ છતાં તપાસના નામે DEO અને સ્થાનિક પોલીસ માત્ર તપાસના નામે દેખાવ કરી રહી છે. તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે આજે રાજસ્થાન પરિવારના લોકો પોલીસ કમિશનરને રજૂવાત કરવા પહોંચ્યા છે. જ્યાં તેમણે શાળાને કેમ છાવરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા છે.
રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ 2ના 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જોતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી શકાય.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

