ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાને લગાવી છલાંગ, આર્થિક તંગીમાં સુરતના યુવાને પગલું ભર્યાની આશંકા

આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના એક યુવાને મોતની છલાંગ લગાવી હતી. જો કે તેને પડતાં જોતાં જ સ્થાનિક માછીમારો દોડી ગયાં હતાં. બાદમાં યુવકને તાત્કાલિક તેને બચાવી લીધો હતો.
સલામત બહાર કઢાયો
ભરૂચમાં રાત્રિના સમયે યુવાને આર્થિક તંગીના કારણે નર્મદા નદી પર આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. જો કે આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યકિતએ આ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તાત્કાલિક તેઓએ સ્થળ પર પહોંચી ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોને ફોન મારફતે જાણ કરી હતી. જેના પગલે નાવિકોએ તાત્કાલિક બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા ઈસમને પકડીને બહાર કાઢી સલામત કિનારા સુધી લઈ આવ્યાં હતાં.
આધારકાર્ડ મળ્યુ
યુવકની પૂછપરછ કરતા તે કંઈ પણ બોલતો નહોતો. તેના ખિસ્સામાં તપાસ કરતા આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તે સુરતના ચોર્યાસી ગામનો વતની ઠુમ્મર ચિંતન શામજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરતા પોલીસે દોડી આવી યુવકના વાલી વારસોની જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

