મંદી, મોંઘવારી અને બેકારીની વરવી વાસ્તવિકતા, સુરત પાલિકાની શાળામાંથી આટલા વિદ્યાર્થીઓએ લઈ લીધા એલ.સી.

સુરત અને ગુજરાતને રોલ મોડલ ગણી દેશમાં અન્ય શહેરોમાં મોડેલ અપનાવવા માટે વાત થાય છે. પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસના દાવા વચ્ચે મોંઘવારી અને બેકારીની વરવી વાસ્તવિકતા સુરતમાં બહાર આવી છે. સુરતના ઓળખ હીરા નગરી છે. હીરાના ધંધામાં મંદી છે અને દિવાળી બાદ અનેકે નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. જેની સીધી અસર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પર જોવા મળી રહી છે. સુરતમાં હીરાના વ્યવસાયી તેવા વરાછા વિસ્તારની 50 જેટલી શાળામાંથી 603 વિદ્યાર્થીઓના વાલીઓ એલ.સી. (લીવીંગ સર્ટીફીકેટ) લઇ ગયાં છે. જેની સામે ખાનગી સ્કુલમાંથી 592 વિદ્યાર્થીઓએ એલ.સી. કઢાવીની શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ લીધો છે.
વતનની વાટ પકડતા રત્નકલાકાર
હીરા નગરી સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ડાયમંડમાં મંદી ચાલી રહી છે અને દિવાળી પછી પણ હીરાના ધંધામાં મંદીમાં તેજી આવે તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. આ મંદી અને મોંઘવારીના કારણે અનેક કારખાના બંધ થઈ ગયાં છે અને કેટલાક મોટા કારખાનામાંથી કારીગરોને છુટા કરવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિના કારણે અનેક રત્નકલાકારો બેકાર બન્યા છે જેથી રત્નકલાકારોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો અનેક બેકાર બનેલા રત્નકલાકારો વતન સૌરાષ્ટ્ર કે અન્ય શહેરની વાટ પકડી રહ્યાં છે હીરાની મંદીની સીધી અસર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર જોવા મળી રહી છે.
જીવન નિભાવવું ભારે પડ્યું
દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે તેથી અનેક રત્નકલાકારો પોતાના વતન જઈ રહ્યાં છે તેઓના બાળકો પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરે છે શિક્ષણ સમિતિની શાળામાં વિના મુલ્યે શિક્ષણ, બુટ મોજા અને પુસ્તકો સાથે બેગ પણ આપવામાં આવે છે પરંતુ તેમ છતાં નોકરી ધંધો ન હોવાથી વિના મુલ્યે અભ્યાસ તો મળે છે પરંતુ સુરતમાં જીવન નિભાવવું ભારે પડી રહ્યું છે. તેથી સમિતિની શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણ અપાતું હોવા છતાં એસ.સી. લઈને વતન જઈ રહ્યાં છે.
ખાનગીમાં વાલીઓ ફી નથી ભરી શકતા
દિવાળી બાદથી અત્યાર સુધીમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં 50 જેટલી શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓના વાલીઓ એલ.સી. લઈ ગયાં છે. આ ચોંકાવનારા આંકડા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા સર્વે માંથી બહાર આવ્યા છે. તો બીજી તરફ એનાથી પણ ચોંકાવનારા આંકડા સમિતિની શાળામાં પ્રવેશ લેનારા છે. દિવાળી વેકેશન બાદ સુરતની ખાનગી શાળામાંથી 592 વિદ્યાર્થીઓ એવા છે જેઓએ ખાનગી શાળા છોડીને સમિતિની શાળામાં પ્રવેશ લીધો છે. હાલમાં હીરામાં મંદી છે અને ઘણી જગ્યાએ ઓછા પગાર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી લોકો ભરી શકતા નથી તેથી પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને મુકી રહ્યાં છે.

