Surat News: રામાયણ અને મહાભારત: જીવન જીવવાની જડીબુટ્ટી કાર્યક્રમ યોજાયો, માર્મિક વાતોની સાથે કરાઈ ટકોર

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ અને ભારતીય વિચાર મંચ દ્વારા “રામાયણ અને મહાભારત:- જીવન જીવવાની જડીબુટ્ટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 800 થી વધુ અલગ અલગ વ્યવસાયી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા લેખક તથા મેનેજમેન્ટ પ્રોફેશનલ એવા વક્તા અમી ગણાત્રાએ આપણા પૌરાણિક મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિષે વિસ્તૃત વાત કરી હતી.
યુવાઓને ટકોર કરાઈ
વર્તમાન સમયમાં આપણે આપણા મહાકાવ્યોને મૂળ પ્રતિ સ્વરૂપ જાણતા નથી. પરંતુ, ટેલિવિઝન પર આવતી વિવિધ ધારાવાહી તથા ચલચિત્ર મુજબ જ જાણીએ છીએ. જે અંગે અમી ગણાત્રાએ ધર્મની વ્યાખ્યા આપી કર્તા અને કરણનો સિદ્ધાંતની વિસ્તૃત સમજણ આપી. તેમણે વધુમાં જણાવ્યું કે, રામાયણ માત્ર રાવણના કારણે જ રચાયું નથી પરંતુ એક માંની જિદ્દ, સુરપંખાનું શ્રીરામજી તથા સીતાજી પ્રત્યે મોહાવું તથા રાવણની કુદ્રષ્ટિના કારણે રચાયુ છે. તથા મહાભારત “આંધળાના પુત્ર આંધળા જ હોય” તેવા શબ્દના કારણે નહીં પરંતુ પાંડવોની સાથે પહેલેથી જ થતાં અન્યાયના કારણે રચાયું હતું. તેઓએ મૂળ વાલ્મીકિ રચિત રામાયણ તથા વેદ વ્યાસજી રચિત મહાભારતનો વર્તમાન લેખકોના પોતાના અંગત મંતવ્યો સાથેની રચના વચ્ચેના મિથને ઉજાગર કર્યા હતા.
માર્મિક વાત કરાઈ
આ ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ કેશુભાઈ ગોટીએ માર્મિક વાત કરતાં કહ્યું કે, આપણે દરેકે આપણાં ગ્રંથોની મૂળ માહિતીથી માહિતગાર હોવા જોઈએ. અને સાચી રાષ્ટ્રસેવા તથા કર્મનો સિધ્ધાંત સમજાવ્યો હતો. તો યુવાઓને ટકોર કરતાં કહ્યું કે, ભારતવર્ષનો યુવા કામ વગર બેસેલો ના રહે તો આવનાર દસ વર્ષમાં જ આપનો દેશ મહાન બનાવી શકીશું. આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટીઓસહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

