સુરતમાં ગાયનું કપાયેલું માથું રઝળતી હાલતમાં મળતાં રોષ, પોલીસ અને FSLની ટીમે હાથ ધરી તપાસ

ગુજરાતમાં ગૌવંશને લઈને છાસવારે આંદોલન થતાં રહે છે. જો કે, ગૌવંશની હાલત જોઈએ તેટલી સારી નથી. ત્યારે આજે સુરતના પાલનપુર કેનાલ રોડ પરથી ગાયનું કપાયેલી હાલતમાં માથું મળી આવ્યું હતું. જેથી સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સુરતની ખાનગી શાળામાંથી 100 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા રદ્દ, જાણો કારણ
કડક કાર્યવાહીની માગ
પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી એલ.પી.સવાણી ચાર રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળ્યું હતું. ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. બીજી તરફ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, ગુજરાતમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે. ગાયને માતા માનવામાં આવે છે ત્યારે તેની હત્યા કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.
પોલીસે આદરી તપાસ
પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે, કોઈક અજાણ્યા ટીખળીખોરે આ પ્રકારનું કૃત્ય કર્યુ હોય તેમ કહી શકાય છે. હાલ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

