સુરતના ડુમસમાં ‘નગર વન’ શરૂ થતાં જ થયું બંધ, છોડ કરમાઈ ગયા-પ્રવાસીઓ નિરાશ

બડી બડી બાતે વડાપાઉં ખાતે જેવો ઘાટ સુરતમાં સર્જાયો છે. વન વિભાગ દ્વારા ડુમસના ફોરેસ્ટ કોલોની-સુલતાનાબાદ ખાતે રૂપિયા 1.50 કરોડના ખર્ચે 4.50 હેક્ટરમાં વનવિભાગ દ્વારા નવનિર્મિત ગુજરાતનું સૌપ્રથમ ‘નગરવન’ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નગરવન શરૂ થતાં જ બંધ થઈ જતાં રવિવારે ડુમસ પહોંચેલા પ્રવાસીઓ નગર વનને મારેલા ખંભાતી તાળા જોઈ નિરાશ થયા હતા. સુરતનાં જાગૃત નાગરિકે આ મામલે વન વિભાગના અધિકારીને ફરિયાદ કરતા મીઠા પાણી અને પક્ષીઓની માવજત કરનાર ટ્રેનર્સનાં અભાવે થોડાક દિવસ માટે નગરવન બંધ રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
સંચાલનમાં ખામીઓ
જાગૃત નાગરિકે આ મામલે મુખ્ય વન સંરક્ષક વન વિભાગ સુરતને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડુમસ ખાતે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નાગરવન અંગેની મહત્વપૂર્ણ ચિંતાઓ તરફ અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ, જે પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને સુરતના રહેવાસીઓને શાંત કુદરતી આરામ પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવેલી પહેલ છે. આ પ્રોજેક્ટનું વિઝન અને ઉદ્દેશ્ય ખૂબ જ પ્રશંસનીય છે, પરંતુ તેના સંચાલનમાં ખામીઓ જણાય છે. એ જોતાં તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.
20 હજાર વૃક્ષો વાવ્યા
હરિયાળી અને વૃક્ષારોપણની જાળવણી યોગ્ય રીતે થઈ નથી. મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 20,000 વૃક્ષો વાવવામાં આવ્યા હોવા છતાં, ઘણા છોડને અપૂરતું પાણી આપવામાં આવે છે, જેનાથી એ કરમાઈ ગયા છે. ટેન્કરનો ઉપયોગ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાથી, યોગ્ય મીઠા પાણીના પુરવઠા માટે પણ કોઈ વ્યવસ્થા હોય તેવું લાગતું નથી.આ પ્રોજેક્ટ માટે કલ્પના કરાયેલા જંગલ જેવા વાતાવરણને જાળવવા માટે નિયમિત જાળવણી અને સતત દેખરેખ જરૂરી છે. નિયમિત પાર્ક મેનેજમેન્ટની જરૂર છે. અમારી મુલાકાત દરમિયાન પક્ષી ઉદ્યાન બંધ હતું, સ્ટાફે સમજાવ્યું કે પક્ષીઓને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના મુલાકાતીઓ સાથે વાતચીત કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.
કર્મચારીઓની અછત
આ ઉપરાંત, કેટલાક પક્ષીઓ હજુ પણ આવી રહ્યા છે. હાલમાં ઉદ્યાનમાં રાખવામાં આવેલા પક્ષીઓને અપૂરતા ઘેરામાં રાખવામાં આવ્યા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ ઉભી થાય છે. પક્ષીઓની યોગ્ય રીતે સંભાળ અને વ્યવસ્થા કરવા માટે તાલીમ પામેલા કર્મચારીઓની પણ અછત હોય તેવું લાગે છે. વન વિભાગ દ્વારા ડુમસના ફોરેસ્ટ કોલોની-સુલતાનાબાદ ખાતે રૂપિયા 1.50 કરોડના ખર્ચે 4.50 હેક્ટરમાં વનવિભાગ દ્વારા નવનિર્મિત ગુજરાતનું સૌપ્રથમ ‘નગરવન’ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
નગરવનમાં આ સુવિધાઓ આપવાની જાહેરાત થઈ હતી
નગરવનમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિવિધ 12 પ્રજાતિઓના 100થી વધુ એક્ઝોટીક પક્ષીઓ તેમજ એક્વેરિયમ પાર્કમાં 100થી વધુ પ્રજાતિની 2000થી વધુ માછલીઓ તરતી મૂકવાની વાત કરવામાં આવી હતી. નગરવન સાથે મરીન લાઈફને પ્રોત્સાહન આપવા માટે અહીં એક્વેરિયમ પાર્ક, એક્ઝોટિક બર્ડ પાર્ક, લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વનશ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત થઈ હતી.

