સુરતના MLAની મુખ્યમંત્રીને રાવ, દૂરુપયોગ થતો હોવાથી RTI કાયદામાં ફેરફારની કરી માગ

સુરતના ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્રો લખીને સતત હાઈલાઈટમાં રહેતા હોય છે. ત્યારે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા આરટીઆઈ એક્ટનો દૂરુપયોગ થતો હોવાની રાવ કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ કરાઈ છે.
આ પણ વાંચોઃ સુરતમાં કેમિકલ ઠાલવવાના નામે ટોળકી ઉઘરાવતી રૂપિયા, ઈન્ડસ્ટ્રીઝના માલિકોને લેવાતા હતા નિશાને
ખાનગી મિલકતોને બાદ કરવા રજૂઆત
ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું કે, RTI કાયદામાં મહારાષ્ટ્ર સરકારે જે ફેરફાર કર્યો છે. તેવો ફેરફાર ગુજરાત સરકારે પણ કરવો જોઈએ. મહારાષ્ટ્ર સરકારે જે રીતે પરિપત્ર બહાર પાડીને અમલ કર્યો છે. તેવો ગુજરાત સરકાર પણ અમલ કરે તેવી માંગ છે. મહારાષ્ટ્રમાં RTI અંતર્ગત ખાનગી મિલકતોની માહિતી નહિ આપવા નિર્ણય કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર પણ ખાનગી મિલકતોની RTIમાં માહિતી ના આપી શકે તેવા નિર્ણય કરે તેવી રજૂઆત કરી છે.
ફેરફાર કાયદામાં કરવા માગ
ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉમેર્યુ કે, આ માત્ર એક સુરતની પૂર્વ વિધાનસભા વિસ્તાર પૂરતો જ મુદ્દો નથી. પરંતુ, સમગ્ર ગુજરાતને અસર કરતો મુદ્દો છે. RTIના ખોટા ઉપયોગને લઈ લોકોને પરેશાન કરાતા અનેક કિસ્સાઓમાં લોકોએ આપઘાત પણ કર્યા છે. ત્યારે ખોટી રીતે દૂરુપયોગ થતાં મહત્વપૂર્ણ કાયદામાં ફેરફાર કરવો હવે જરૂરી બની ગયો છે. ત્યારે આ અંગે ઝડપથી ઘટતું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

