સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, ધુમાડામાં ગૂંગળાઈ જતાં 1નું મોત

સુરતમાં મંગળવાર આગ લાગવાથી અમંગળ સાબિત થયો હોય તેમ 3 જગ્યાએ ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં ત્રીજી આગ ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ગઈ હતી. રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
માર્કેટનો ચાલુ સમય હોવાથી લોકો ફસાયા
માર્કેટનો ચાલુ સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે, ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગની ઘટનામાં ધુમાડાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
14થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો
ફાયરબ્રિગેડના ઓફિસરે કહ્યું કે, આગ પર કાબુ મેળવવા માટે લગભગ 14 જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે પર બોલાવવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે.

