VIDEO: ઉમરપાડા તાલુકામાં જંગલ ખેડાણના મુદ્દે સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ, સાગબારાના ખેડૂતો પર કર્યા ગંભીર આક્ષેપ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ ખેડાણના મુદ્દે સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા મથકે બહોળી સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થયા હતા અને પગપાળા રેલી યોજી ઉમરપાડા મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર ખેડાણ સામે કાર્યવાહી કરવા માગ
સ્થાનિક આદિવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે સાગબારા તાલુકા વિસ્તારના કેટલાક ખેડૂતો ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખેડાણ કરી રહ્યા છે. આ ઉપરાંત સાગબારા તરફથી આવતા ખેડૂતો સ્થાનિકો સાથે દાદાગીરી કરતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આદિવાસીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે સાગબારા તાલુકાના ખેડૂતોને ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ખેડાણ કરવાની મંજૂરી આપવામાં ન આવે અને ગેરકાયદેસર ખેડાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બહોળી સંખ્યામાં આદિવાસીઓ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

