Mumbaiમાં ભારે વરસાદથી ફ્લાઈટ Surat ડાયવર્ટ, ટ્રેન વ્યવહારને પણ પડી અસર

મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA)ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે વરસાદને પગલે એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાયા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાને કારણે અનેક ફ્લાઇટ્સને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની મંજૂરી ન મળતાં નજીકના શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને, પાંચ ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી, જેમાં દિલ્હી-મુંબઈ, ભુવનેશ્વર-મુંબઈ, સ્પાઇસ જેટની દુબઈ-મુંબઈ, સ્પાઈસ જેટની મુંબઈ-કંડલા અને ઇન્ડિગોની વડોદરા-મુંબઈ ફ્લાઇટનો સમાવેશ થાય છે. અન્ય ફ્લાઇટ્સને અમદાવાદ અને હૈદરાબાદ તરફ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે શહેરના ઘણાં ભાગોમાં પાણી ભરાયા છે, જેની અસર એરપોર્ટના રનવે અને ઓપરેશનલ એરિયા પર પણ જોવા મળી છે.
મુસાફરોને હાલાકી
ભારે વરસાદ અને ફ્લાઇટ્સના ડાયવર્ઝન તેમજ રદ થવાને કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર લાંબી કતારો અને મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઘણાં મુસાફરોને તેમની ફ્લાઇટના નવા સમય અથવા ડાયવર્ટ થયેલા સ્થળો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવા અપીલ કરી છે.
મુંબઈમાં વરસાદને પગલે બે ટ્રેન રદ કરવામાં આવી
મુંબઈમાં ભારે વરસાદને કારણે દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર પર અસર પડી હતી. મુસાફરોને ભારે હાલાકી, અનેક ટ્રેનો મોડી પડી, કેટલીકને ટૂંકાવવામાં આવી, કેટલીકનો રૂટ બદલવો પડ્યો હતો.
સુરતમાં ડાયવર્ટ થયેલી ફ્લાઇટ્સ
ઇન્ડિગો દિલ્હી – મુંબઈ
સ્પાઇસજેટ દુબઈ – મુંબઈ
ઇન્ડિગો વડોદરા – મુંબઈ
ઇન્ડિગો ભુવનેશ્વર – મુંબઈ
સ્પાઇસજેટ મુંબઈ – કંડલા

