હીરાની મંદીએ લીધો વધુ એકનો ભોગ, સુરતમાં કામ ન મળતાં રત્નકલાકારે તાપીમાં કુદી જિંદગી ટૂંકાવી

છેલ્લા બે-અઢી વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે. સુરતમાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી. આવા કપરા સંજોગોમાં રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે. આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
તાપીમા ઝંપલાવી આપઘાત
ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં માં દિપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે રત્નકલાકાર તરિકે કામ કરતો હતો. જો કે, હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું. રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા મળતી નહોતી. જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો હતો. હાલ તેના મૃતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર શોકમાં ગરકાવ
મૃતકના સંબંધીએ કહ્યું કે, અનિકેત ભૂપત ઠાકુર દિવાળી સુધી હીરામાં કામ કરતો હતો. દિવાળી બાદ વેકેશન બાદ શોધવા છતાં નોકરી મળતી નહોતી. જેથી આ પગલું ભર્યું છે. ભાડાના મકાનમાં રહેતા હતાં. પરિવારમાં બહેન અને માતા પિતા હતાં. ઘરેથી નોકરી શોધવા જવાનું કહીને નીકળી ગયો હતો. અમે તપાસ કરી તો બાઈક મળી અને ત્યારબાદ બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે.

