સુરતમાં મેટ્રોના કારણે બંધ રસ્તા વચ્ચે નિર્ણય, બોર્ડના સ્ટુડન્ટ્સ ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે પરીક્ષા કેન્દ્રનું લોકેશન

આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો. 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થાઓ, ટ્રાફિક સંચાલન, પાણી અને આરોગ્ય જેવી મહત્વની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ VIDEO: સુરત રેલવે સ્ટેશન પર સર્જાયો ડ્રામા, યુવકે ટ્રેનના એન્જિન પર ચડી કર્યો હંગામો
વ્યવસ્થા ગોઠવવી જરૂરી
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે માહિતી આપી કે, પરીક્ષા કેન્દ્ર શોધવાની મુશ્કેલી ન થાય તે માટે ક્યુઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને તેમના પરીક્ષા કેન્દ્રનું લોકેશન સરળતાથી મેળવી શકશે. આ ક્યુઆર કોડ દરેક શાળાના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવશે.જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ અધિકારીઓને સૂચના આપી કે, વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
સીસીટીવીની વ્યવસ્થા
ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂં રહે, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચે, તે માટે પોલીસ તંત્રને ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.સુરત શહેર અને જિલ્લામાં કુલ 1,53,290 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. આ માટે 14 ઝોન, 85 પરીક્ષા કેન્દ્રો, 524 બિલ્ડિંગ અને 5372 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં 1.53 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો.10– 91,830 વિદ્યાર્થીઓ
ધો.12 (સામાન્ય પ્રવાહ)– 45,720 વિદ્યાર્થીઓ
ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)– 15,740 વિદ્યાર્થીઓ
પરીક્ષા સમયગાળો
ધો.10 (SSC)– સવાર 10:30 થી 1:15
ધો.12 (HSC)– બપોરે 3:00 થી 6:15
વિદ્યાર્થીઓ માટે મદદ માટે કંટ્રોલ રૂમ
પરિક્ષાને લગતી કોઈપણ માહિતી અથવા મુશ્કેલી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી અથવા વાલીઓ ફોન નંબર: 0261-2662902 પર સંપર્ક કરી શકશે.આ બેઠક દરમિયાન કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે ‘પરીક્ષા સાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ બુકલેટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ બુકલેટ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શક રૂપે ઉપયોગી સાબિત થશે.

