સુરતમાં કોંગી પ્રમુખ શક્તિસિંહના આક્ષેપ- ગુજરાત ડ્રગ્સ અને દુષ્કર્મનું હબ બન્યુ, રત્નકલાકારો બેકાર

ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુષ્કર્મ કેસ, ખ્યાતિકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે. રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચોઃ Video: સુરતમાં પાર્ક થયેલી કારમાં લાગી આગ, પાણીની ડોલ લઈને દોડ્યા લોકો
169 દુષ્કર્મની ઘટનાઓ બની
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિ જુએ છે. ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની છે. સમાજની કોઈપણ વ્યક્તિ માટે આવી ઘટનાઓ શરમજનક છે. કોંગ્રેસની સરકારમાં સવાર સુધી રાસ ગરબા ચાલતા હતા અને દીકરીઓ એકલી ઘરે આવતી હોવા છતાં આવી ઘટનાઓ બનતી નહોતી. ભાજપ સરકાર સારા અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડ લાઇન કરે છે અને હપ્તા લઈને બદલીઓ થાય છે.'
હીરાનો ઉદ્યોગ સરકારે તોડ્યો
સુરતની સ્થિતિ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'સુરત ફાઇનાન્સિયલ કેપિટલ છે. પરંતુ હાલની સ્થિતિ ખરાબ કેમ થઈ તેનો વિચાર કરવાની જરૂર છે. મેં પાર્લામેન્ટમાં કહ્યું કે ચાઇનાથી આવતા ડાયમંડ પર બ્રેક નહીં આપો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે. પરંતુ આ ડાયમંડને બંધ કરવાના બદલે PM અમેરિકા ગયા અને ત્યાંના પ્રેસિડેન્ટની પત્નીને સિન્થેટિક ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતા. આના કારણે વિશ્વમાં સંદેશો ગયો કે ભારતમાં ઓરીજનલ હીરા બનતા નથી.'
ડ્રગ્સ, રેપની ઘટનાઓ વધી
ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. ગુંડાઓને ખેસ પહેરાવીને ધન સંગ્રહ કરવામાં આ ગુંડાઓનો હાથ છે.' આ ઉપરાંત તેમણે નિટનું પેપર લીક થવામાં અને બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી તે ભાજપનો નેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા કે, 'ગરીબ અને નાના લોકો છે તેમના વરઘોડો પોલીસ કાઢે છે. પરંતુ ખ્યાતિકાંડમાં જે પકડાય તેમનો વરઘોડો કેમ ન નીકળ્યો?'
80 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યા: અમિત ચાવડા
વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'સુરતની ઓળખ સમગ્ર વિશ્વમાં આર્થિક હબ તરીકે છે, જે ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકર ડાયમંડને ચમકાવે છે તે રત્નકલાકાર આજે મુશ્કેલીમાં છે. દેશના પ્રધાનમંત્રી વિશ્વમાં જઈને આ ડાયમંડને લઈ વાહવાહી લઈ રહ્યા છે. લેબર વિભાગની માહિતી અનુસાર 3 લાખ રત્નકલાકરો નોંધાયા છે, ન નોંધાયેલા રત્નકલાકારોની સંખ્યા 10 લાખ છે. 80 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. આ સુરત શહેરમાં ભાજપના કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના ગૃહ મંત્રી પણ સુરતના છે. 12 ધારાસભ્યો પણ ભાજપના છે પરંતુ આજે એક પણ રત્નકલાકારની મુલાકાત આમાંથી એક પણે લીધી નથી.'

