VIDEO: સુરતના પાંડેસરામાં મકાનની બાલ્કની ધરાશાયી: ફાયર વિભાગે ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મકાનની બાલ્કનીનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે પાર્ક કરેલા અનેક વાહનો કાટમાળ નીચે દબાતા મોટું નુકસાન થયું છે. નોંધનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ વધી જાય છે. મુક્તિનગરમાંથી જ છેલ્લા બે દિવસમાં આવી બીજી ઘટના સામે આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

