Surat News: બેંગકોકથી આવતા બોઇંગ-737-મેક્સ-8 એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી, ટેકઓફ થ્રસ્ટ ફેઈલથી 190 યાત્રી અટવાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના બીજા જ દિવસે AI એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવતાં ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી, જેથી 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા. AI એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઇંગ-737-મેક્સ-8 એરક્રાફ્ટને ઉપયોગ કરે છે. શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજ 04:45 કલાકે ટેકઓફ થવાની હતી.
થ્રસ્ટનો પ્રોબ્લેમ જણાયો
મુસાફટો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા. જો કે, ટેકઓફ પહેલાં ઇજનેરી ટીમે એન્જિનની તપાસ કરી તો થ્રસ્ટનો પ્રોબ્લેમ જણાયો હતો, જેથી તમામ પેસેન્જરોને ઊતારવા પડ્યા હતા. ત્યાર બાદ ઇજનેરોની ટીમે ટેક્નિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી, જેને કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો.એરલાઇનના સૂત્રો અનુસાર ટેકઓફ પહેલાં ટેકનિકલ તપાસ થાય છે, જેમાં એન્જિનની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી જણાઈ હતી.
ફ્લાઈટ ચેક કરીને ટેકઓફ
હાલમાં ટેકનિકલ ટીમ ખામી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, ફ્લાઇટ મોડી પડશે. AI એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ પણ મોડી પડી હતી. જેમાં 190 પેસેન્જરો હેરાન થયા હતા. આ ફ્લાઇટ સાંજે 4.45 કલાકે શારજાહથી ટેકઓફ થનારી હતી. AI અને AI એક્સપ્રેસની તમામ ફ્લાઇટ ચેક કરીને ટેકઓફ થાય છે.

