Ahmedabad Plane Crashની ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, પરીક્ષા રદ્દ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગ હાજર MBBSના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીમાંથી 200થી વઘુ વિદ્યાર્થીઓ ડર અને આઘાતને લીધે પોતાના ઘરે જતા રહ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા. જેને પગલે હાલ તો બી.જે. મેડિકલ કોલેજ દ્વારા 500 વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી-પ્રેક્ટિકલ ઈન્ટરનલ પરીક્ષાઓ રદ્દ કરી દેવાઈ છે. આ ઉપરાંત મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ્દ કરવામાં આવ્યું છે.
મેડિકલ શિક્ષકો-ડોક્ટરોનું ઉનાળુ વેકેશન પણ રદ્દ
બી.જે. મેડિકલ કોલેજમાં ભણતા MBBSના વિદ્યાર્થીઓમાં હાલમાં ચાલતી અને આગમી દિવસોમાં શરૂ થનારી થિયરી તેમજ પ્રેક્ટિકલની ઈન્ટરનલ પરીક્ષાઓ હાલ રદ્દ કરવામા આવી છે. જ્યાં સુધી નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ નહીં લેવાય. MBBSના પ્રથમ અને બીજા વર્ષની ઈન્ટરનલ પરીક્ષાઓ લેવાનાર હતી અને જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ રદ્દ કરવામા આવી છે. નવી તારીખો કોલેજ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ હોસ્ટેલોમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી 200થી વઘુ વિદ્યાર્થી પોતાના ઘરે જતા રહ્યા છે અને ક્રેશની ઘટના સમયે જે 40થી વઘુ વિદ્યાર્થીઓ હાજર હતા તેઓ ખૂબ જ ડરી ગયા છે તેમજ આઘાતમાં છે.
આ ઉપરાંત અમદાવાદ પ્લેશ ક્રેશની ઘટનાને પગલે મેડિકલ સેવાની જરૂરીયાતને ઘ્યાને રાખતા બી.જે. મેડિકલ કોલેજ દ્વારા તમામ મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ્દ કરી દેવાયું છે. 13મી જૂનથી બીજા તબક્કાનું ઉનાળુ વેકેશન શરૂ થતું હતું પરંતુ તે રદ્દ કરી દેવાયું છે અને આજે 14મીથી તમામ શિક્ષકો-ડોકટરોને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. મહત્ત્વનું છે કે મેસ બિલ્ડિંગ તૂટતા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટસ અને ઈન્ટર્ન્સને જમવાની મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કારણકે બિલ્ડિંગમાં પ્રથમ અને બીજા બંને માળે મેસ હતી.

