Himatnagar news: નિર્દોષ લોકોને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકી પોલીસે ઝડપી

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મેરેજ બ્યુરો ચલાવીને નિર્દોષ લોકોને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. હિંમતનગર પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને શહેરની અર્બુદાનગર સોસાયટીમાં ધામા નાખ્યા છે.
દંપતીના ઘરે પોલીસના દરોડા
મળતી માહિતી મુજબ, હિંમતનગરની અર્બુદાનગર સોસાયટીમાં 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' ચલાવતા એક દંપતી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. લગ્ન કરાવી આપવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ વાયદાઓ પૂરા ન કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. હિંમતનગર પોલીસની ટીમ આ દંપતીના ઘરે તપાસ કરવા પહોંચી હતી અને વિવિધ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે.
અત્યાર સુધી પાંચ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ લગ્ન કરાવી આપવાનું કહીને અત્યાર સુધી પાંચ જેટલા કિસ્સાઓમાં છેતરપિંડી આચરી છે. ભોગ બનનારા લોકોએ પોલીસનો સંપર્ક કરતા આ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો છે. પોલીસને શંકા છે કે, ભોગ બનનારાઓની સંખ્યા હજુ પણ વધી શકે છે, કારણ કે મેરેજ બ્યુરોના નામે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી.
પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
હિંમતનગર પોલીસે આ મામલે અન્ય પીડિતોને પણ સામે આવવા અપીલ કરી છે. જે લોકો 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' અથવા આ દંપતી દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હોય, તેઓ સીધો પોલીસનો સંપર્ક કરી શકે છે. હિંમતનગર પોલીસે કાર્યવાહી માટે ખાસ મોબાઈલ નંબર 9998828188 જાહેર કર્યો છે. પોલીસે ખાતરી આપી છે કે, ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

