VIDEO: ઈડરના સમલાપુરમાં પ્લોટ માટે હત્યા? એક એક વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ખુલી શકે
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ગુમ થયેલા માસુમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાની ઘટના ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ડેભોલ નદીમાંથી મૃત હાલતમાં મળેલા મૃતકના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા થઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે.. રવિવારે નાના દીકરા કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થતાં પરિવારે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અરવિંદજી ઠાકોરના ગામમાં ચાર મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણથી લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવાર નવાર દબાણ કરતો, સાથે જ પ્લોટ વેચાણે ન આપવા જેવી બાબતે વારંવાર ઝગડા પણ કરતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઈડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ભાંગી પડ્યો હતો અને તેણે કરેલા પાપનો ભાંડો ફૂટ્યો હતો. સાવનજીની કબૂલાત મુજબ, પ્લોટ વેચાણ લેવા જેવી જમીન-મિલકતની ક્ષુલ્લક બાબતને લઈને તેની દાનત બગડી હતી. આ વિવાદ સહિત અરવિંદજી ના પરિવાર દ્વારા જાદુટોણા કરી પોતાના પરિવારને પીડા આપી હોવાનું માની રહ્યો હતો. જોકે અંધશ્રદ્ધાના પગલે તેને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે. બીજી તરફ એક વર્ષ અગાઉ આ જ પરિવારના ડેભોલ નદીમાંથી અરવિંદજીના મોટા પુત્ર અમિતજી ઠાકોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ તે પણ સાવનજીની જ ક્રૂરતાનો ભોગ બન્યો હોવાની સંભાવનાઓ શરૂ થઈ છે.

