Video: Rajkot માં ખેતલા આપા મંદિરમાં ફોરેસ્ટ વિભાગના દરોડા, 52 જીવતા સાપ મળતા મહંતની ધરપકડ
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ ખેતલા આપા મંદિરમાં વન વિભાગે દરોડા પાડતા મોટી ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં મંદિરના કમ્પાઉન્ડમાંથી કુલ 52 જીવતા સાપ મળી આવતા વન વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી છે.
'નાગનું ઘર' કહીને કરાતો હતો પ્રચાર
મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયા વર્ષોથી આ મંદિરનું સંચાલન કરતા હતા. તેમની વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહંત સોશિયલ મીડિયા પર આ મંદિરને "નાગનું ઘર" કહીને વીડિયો મૂકતા હતા. તે દર્શને આવતા શ્રદ્ધાળુઓને પણ આ સાપ બતાવતા હતા અને મંદિરનો પ્રચાર નાગદેવતાનું મંદિર કહીને કરતા હતા.
એવો દાવો કરવામાં આવતો હતો કે આ મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા છે. સ્થળપરિસ્થિતિ અને સોશિયલ મીડિયામાં મુકાયેલા વીડિયોના આધારે શંકા ઉઠતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે વન્યજીવોને પકડીને અને રાખીને કાયદાનો ભંગ કરવા બદલ વન વિભાગે તાત્કાલિક ધોરણે મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

