રાજકોટ/ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સબ રજીસ્ટારે આ રીતે પાડ્યો ખેલ; એક્શન મોડમાં પોલીસ

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે. છાસવારે નકલી કચેરી, અધિકારી સહિતના ઝડપાયા છે. ત્યારે હવે રાજકોટમાં સબ રજીસ્ટાર કચેરીમાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. રાજકોટમાં અસલી નકલી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ કમિશનર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. Dcpના સુપરવિઝનમાં પ્રદ્યુમન નગરના સેકન્ડ પી.આઇ ડોબરીયા સમગ્ર કેસની તપાસ કરશે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કુલ 3 પોલીસ સ્ટેશનની બે બે ટીમ મળી કુલ 6 ટીમો બનાવવામાં આવી છે.
આરોપીઓ દ્વારા જે 17 બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા તેમાં કોઠારીયા વિસ્તાર, રૈયા વિસ્તાર, મવડી વિસ્તાર, મઘરવાડા ગામ અને રાજકોટ તાલુકાના સર્વે નંબરોના દસ્તાવેજ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટ : સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ, 3 સામે ફરિયાદ, એકની અટકાયત
રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટારની અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજને લગતું કૌભાંડ 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કુલ 3 પોલીસ સ્ટેશનની બે બે ટીમ મળી કુલ 6 ટીમો બનાવવામાં આવી છે. જયદીપ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સાથે જ આરોપી પાસેથી કેટલીક ચીજવસ્તુઓ પણ ગુનાના કામે કબજે કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હર્ષ સોનીના ઘરે પોલીસના દરોડામાં નકલી દસ્તાવેજ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ સમગ્ર ઘટના જોતા નકલી દસ્તાવેજનું કૌભાંડમાં મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા સબ રજીસ્ટર કચેરીમાં રહેલા કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે.
રાજકોટમાં સબ રજીસ્ટાર અતુલ દેસાઈ સહિતના આરોપીઓએ કૌભાંડ કરતા પહેલા 1972 પૂર્વેની એવી મિલકતો કે જેમાં આજ દિવસ સુધી કોઈ ખરીદ વેચાણનું મુવમેન્ટ જોવા ન મળ્યું હોય તેવી 17થી વધુ મિલકતોના દસ્તાવેજી રેકોર્ટ સાથે ખેલ કર્યો હતો.
રાજકોટ શહેરની ફેમિલી કોર્ટ પાસે આવેલી સબ રજીસ્ટાર કચેરી ખાતે 23 ફેબ્રુઆરી 2023થી લઈ 18 મે 2024 સુધી હર્ષ સોની, જયદીપ ઝાલા તેમજ કિશન ચાવડા નામના વ્યક્તિઓ દ્વારા કચેરી ખાતે રહેલા ઓરીજીનલ હસ્ત લિખિત દસ્તાવેજોના સ્કેન કરેલા રેકોર્ડિંગને કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી તેની જગ્યાએ ડુબ્લીકેટ દસ્તાવેજના સ્કેન રેકોર્ડિંગ ફાઈલ રિપ્લેસ કરવામાં આવી હતી. આમ, કચેરીના ઓરીજીનલ દસ્તાવેજ સાથે પણ ચેડા કરી તેનો નાશ કરવામાં આવતો હતો. જેથી ભવિષ્યમાં ઓરીજીનલ દસ્તાવેજની જગ્યાએ કોમ્પ્યુટરમાં બનાવટી દસ્તાવેજની ફાઈલ જોવા મળે.

