Rajkot: ક્રિષ્ના વોટર પાર્ક વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો, કોંગ્રેસના પૂર્વ નેતા હરિભાઈ કણસાગરા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો

રાજકોટના જાણીતા ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ફરિયાદ ખુદ માલિકના ભત્રીજાની કંપનીના મેનેજરે કરી છે, જેના કારણે કણસાગરા પરિવારનો પારિવારિક અણબનાવ જાહેરમાં આવ્યો છે.
કંપની ખાલી કરાવવા મેનેજરને માર માર્યો
કુવાડવા નજીક આવેલા ક્રિષ્ના વોટર પાર્કની જગ્યામાં માલિક હરિભાઈ કણસાગરાના ભત્રીજા જય સુરેશભાઈ કણસાગરા 'હર્બ એલિમેન્ટ્સ નેચરોશ્યુટિકલ' નામની કંપની ચલાવે છે.
ફરિયાદ મુજબ, જ્યારે આ કંપનીનો મેનેજર ત્યાં હાજર હતો, ત્યારે ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઈ કણસાગરા, નિલેશભાઈ માથુર, છગનભાઈ અને ગોપીભાઈ ત્યાં આવ્યા હતા. આ ચારેય શખ્સોએ મેનેજરને ઢીકા-પાટુનો માર માર્યો અને કંપની ખાલી કરવા માટે ગંભીર ધમકી આપી હતી.
સમગ્ર મામલે મેનેજરની ફરિયાદના આધારે કુવાડવા પોલીસ મથકમાં ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઈ કણસાગરા સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકીય હરીફાઈ કે પારિવારિક અણબનાવ
આ પ્રોપર્ટી વિવાદને કારણે ઊભા થયેલા પારિવારિક ઝઘડામાં એક રસપ્રદ રાજકીય પાસું પણ જોડાયેલું છે. માલિક હરિભાઈ કણસાગરા કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને વર્ષ 2022ની માણાવદર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જોકે તેમાં તેમની હાર થઈ હતી.
ભત્રીજાના પિતા સુરેશ કણસાગરા જેમના પુત્ર જય કણસાગરાની કંપનીના મેનેજરે ફરિયાદ કરી છે, તે સુરેશ કણસાગરા ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે. ભારતીય કિસાન સંઘ એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ભગિની સંસ્થા ગણાય છે. એક જ કુટુંબના બે ભાઈઓ અલગ-અલગ રાજકીય વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે જોડાયેલા હોવાથી આ સમગ્ર મામલામાં અનેક તર્કવિતર્કો ઊભા થયા છે.

