Rajkot: GSTVના રિયાલિટી ચેકમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી, દર્દીઓ સાથે એકપણ નર્સિંગ સ્ટાફ નહીં
લોકસાહિત્યકાર મીરા આહિરે સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપો લગાવ્યા હતા. આ મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટે તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. આ મામલે સુપ્રિટેન્ડન્ટ મોનાલી માંકડીયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,1:53 વાગ્યે દર્દીને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તુરંત જ સારવાર આપી દેવામાં આવી હતી. દર્દીને સારવાર આપ્યા બાદ તેને વોર્ડમાં દાખલ કરવાની અપીલ કરવામાં આવી હતી. સારવાર આપ્યા બાદ એક રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની હોય છે તેમાં વિવાદ થયો હતો. દર્દીના સગાંએ અધૂરો વિડીયો જ વાયરલ કર્યો છે.આ કિસ્સામાં વિગતવાર તપાસ કરવાની વાત પણ કરી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષાને લઇને તપાસ હાથ ધરવામાં આવશે.
જો કે આ સમગ્ર ઘટના બાદ GSTVએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી હતી. ગંભીર દર્દીઓ સાથે એક પણ નર્સિંગ સ્ટાફ જોવા મળ્યો ન હતો. ગેંગરીનથી પગ કપાયેલ દર્દી સાથે પણ નર્સિંગ સ્ટાફ ન જોવા મળ્યો. એટલુ જ નહીં પણ સિક્યુરિટી પણ દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓના સગા અને દર્દીઓએ હૈયા વરાળ કાઢી હતી. હોસ્પિટલમાં ખાલી કેસ કઢાવવા માટે પણ ત્રણ ત્રણ ધક્કા ખાવા પડતા હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું.

