રાજકોટનો મેળો ફરવા પહોંચેલા ચાર બાળકોને કાળ ભરખી ગયો, પરિવારમાં આક્રંદનો માહોલ

હાલમાં સાતમ-આઠમને પગલે સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થયું છે ત્યારે ઘણાં લોકો પોત-પોતાના સંબંધીઓને ત્યાં ફરવા પહોંચ્યા છે. આ સૌની વચ્ચે જન્માષ્ટમી નિમિતે રાજકોટનો મેળો ફરવા પહોંચેલા ચાર બાળકોને એક ભૂલ ભારે પડી ગઈ અને તેમને કાળ ભરખી ગયો.
શું હતી ઘટના?
માહિતી અનુસાર રાજકોટના પડધરી તાલુકામાં દહિસરડા ગામે જન્માષ્ટમી ઉજવવા આવેલા ચાર બાળકો ચેક ડેમમાં ન્હાવા પહોંચી ગયા હતા. જ્યાં રમતા રમતા તેઓ ચેક ડેમમાં ડૂબી ગયા હતા અને મૃત્યુ પામી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટાપાયે રેસ્ક્યૂ અભિયાન ચલાવાયું હતું પરંતુ કોઈ બાળકને જીવીત બચાવી શકાયો નહોતો.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
આઠ કલાકની મહામહેનતે ફાયર બ્રિગેડની ટીમે ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢતાં આખા ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બાળકોની અર્થી પણ એકસાથે જોતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. મૃતકોમાં દીપ(14 વર્ષ), વંશિત(15), વાસુ (12 વર્ષ) અને ધ્યેય (14 વર્ષ) તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે જ અગાઉ મહેસાણામાં કડીના મેળાની મજા માણવા ગયેલા ત્રણ મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા અને મોતને ભેટી ગયા હતા.

