Rajkot/ તબીબો વિરુદ્ધ ફરિયાદ: ધરપકડથી બચવા ડૉ. હાર્દિક સંઘાણી અને ડૉ. જીગ્નેશ પટેલ ભૂગર્ભમાં

ડેન્ગ્યુના દર્દીની સારવારમાં બેદરકારી દાખવવાના ગંભીર આરોપસર રાજકોટના બે જાણીતા તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ બંને તબીબ આરોપીઓ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.
ડેન્ગ્યુના દર્દી જય પટેલનો મામલો
આ ફરિયાદ ડેન્ગ્યુના દર્દી જય પટેલની સારવારમાં દાખવવામાં આવેલી બેદરકારીને લઈને નોંધાઈ છે. આ કેસમાં ડૉ. હાર્દિક સંઘાણી (સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના સંચાલક) અને ડૉ. જીગ્નેશ પટેલ આરોપી છે. સિવિલ હોસ્પિટલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં આ બંને તબીબોની બેદરકારી સાબિત થઈ હોવાના આધારે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
BNSની નવી કલમ 106(1) હેઠળ ગુનો
આ કેસની સૌથી મોટી બાબત એ છે કે તબીબો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કલમ ખાસ કરીને બેદરકારીને કારણે મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાના મામલામાં લાગુ કરવામાં આવે છે. આ ફરિયાદ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે.
પોલીસ દ્વારા હવે ફરાર તબીબોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ડૉ. સંઘાણી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલ ચલાવતા હોવાથી આ મામલો શહેરમાં તબીબી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ ટૂંક સમયમાં બંને તબીબોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારશે.

