Rajkot BJP માં ભંગાણ: કોર્પોરેટરના પતિએ 'આપ'નો ખેસ પહેર્યો, શહેર પ્રમુખે કહ્યું..
રાજકોટ શહેરના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે, જ્યારે વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટરના પતિ AAP (આમ આદમી પાર્ટી) માં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ અંગે પ્રદેશ કક્ષાએ જાણ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વોર્ડ નંબર 12 ના ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયાએ આમ આદમી પાર્ટી (AAP) માં સત્તાવાર રીતે જોડાણ કર્યું છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ જણાવ્યું હતું કે, "કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયા સાથે મારો સંપર્ક થયો છે, પરંતુ તેમની સાથે આ અંગે કોઈ સીધી વાતચીત થઈ નથી. જોકે, અસ્મિતાબેનના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે વાત સામે આવી છે. મેં આ સમગ્ર બાબતની જાણ પ્રદેશ કક્ષાએ કરી દીધી છે, અને પ્રદેશ તરફથી જે પણ સૂચના આવશે, તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે."
ભાજપના પદાધિકારીના પરિવારના સભ્યનું અન્ય પક્ષમાં જોડાણ થવું એ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો તરફ ઈશારો કરે છે, અને હવે ભાજપની પ્રદેશ શાખા આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

